હાંસોટ, ભરૂચ
ભરૂચના હાંસોટના ઇલાવ ગામે પાવરગ્રીડ લાઈનનો ખેડૂતો દ્વારા ફરી એકવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે પાવરગ્રીડ ટાવરની કામગીરી માટે ખેતરમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી વાહનો લઈ જવામાં આવતા જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં પાવરગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ સર્જાયો છે. વડોદરાથી સુરતના ઓલપાડ સુધી જતી પાવરગ્રીડ લાઇન માટે ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોનો આક્ષેપ છે કે પાવરગ્રીડ કંપની દ્વારા ટાવર માટે ખોદકામની કામગીરી કરવા તેમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે. ઉપરાંત કંપનીના ભારે વાહનો સતત ખેતરોમાંથી પસાર થતાં ખેતીની જમીનને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે.આ મુદ્દે આશરે 50 જેટલા ખેડૂતો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોની માંગ છે કે તેમની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.વિરોધ ઉગ્ર બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. હાલ ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ યથાવત છે અને ખેડૂતો દ્વારા પાવરગ્રીડ લાઇનના કામનો વિરોધ ચાલુ રાખવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીએ છે કે આ અગાઉ પણ બે વખત ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ સાથે પાવર ગ્રીડ લાઈન નો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે તંત્ર આ મામલે હસ્તક્ષેપ કરી યોગ્ય નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી રહી છે
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
