માં શારદા ભવન ટાઉન હોલ અંક્લેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને યોજાયું વિકસિત ભારત સંકલ્પ સંમેલન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર,

• દરેક વ્યક્તિ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખશે, ત્યારે જ ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે વિશ્વ સમક્ષ ઉભરી આવશે- પ્રભારીમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરીયા

• આપણી સરકારની નીતિઓ માત્ર કાગળ પર નથી, પણ સમાજના છેવાડાના માનવીની આશા અને આકાંક્ષાઓને સ્પર્શનારી છે. – પાણીપુરવઠા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ 

• વડાપ્રધાનશ્રીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લાના વિવિધ ક્ષેત્રોના અગ્રણી નાગરિકો સાથે સંવાદ, વિચારમંથન અને વિકાસના વિઝન પર ચર્ચા કરાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજરોજ માં શારદા ભવન ટાઉનહોલ હોલ અંક્લેશ્વર ખાતે‌ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરીયા ( આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સ્વતંત્ર હવાલો)ના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સ્ટેટ લલિત કલા અકાદમી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીને દર્શાવવામાં માટે ૧૨ વર્ષનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા અને અન્ય મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીને દર્શાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ઉદ્યોગ-વ્યવસાય, શિક્ષણ, સામાજિક સેવા, યુવા વિકાસ તેમજ જનકલ્યાણના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આગેવાનો અને નાગરિકો સાથે વિકસિત ભારતના વિઝન, આત્મનિર્ભર ભારત, સુશાસન, સર્વસમાવેશક વિકાસ અને જનકેન્દ્રિત યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત’ના રાષ્ટ્રીય સંકલ્પને જનભાગીદારી દ્વારા વધુ મજબૂત બનાવવા માટે સંવાદ અને વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

સંમેલન દ્વારા દેશના વિકાસયાત્રામાં જનભાગીદારીના મહત્વને ઉજાગર કરવાની સાથે આગામી વર્ષોમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના માર્ગદર્શન અને સૂચનોનું પણ આદાન-પ્રદાન કરવામા આવ્યું હતું. ભારતના વિકાસને પ્રદર્શિત કરતી ફિલ્મનું નિદર્શન ઉપસ્થિતિઓએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે, પ્રભારીમંત્રીશ્રી અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરીયાએ પ્રાંસગિગ ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વ હેઠળ ભારત આજે વૈશ્વિક સ્તરે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. દેશના દરેક વંચિત, ગરીબ, ખેડૂત અને યુવા વર્ગ માટે છેવાડાના માણસ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવામાં આવી છે, જેનાથી એક સમાન અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. ‘રાષ્ટ્રાય સ્વાહા, ઇદમ્ ન મમ’ (આ મારું નથી, મારા રાષ્ટ્રનું છે) ની ભાવના સાથે આજે સવા સો કરોડથી વધુ ભારતીયો રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં આગળ વધી રહ્યા છે.

આજે ગર્વની વાત એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, લોકોની સુવિધા, જન જન સુધી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. એક પણ ઘર એવું નહીં મળે કે જ્યાં કોઈને કોઈ યોજનાનો લાભ વ્યક્તિએ ન લીધો હોય. એ ગુજરાત સરકારની યોજનાઓ હોય કે ભારત સરકારની, એક સિનિયર સિટીઝનો માટે હોય કે બાળકો માટે.

દેશના અંદાજે ૬૦ થી વધુ જિલ્લાઓમાં નક્સલવાદ અને આંતરિક અશાંતિ વ્યાપેલી હતી, જેમાં અનેક નિર્દોષ નાગરિકો અને સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વર્તમાન સરકારની મક્કમ નીતિઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના મજબૂત નેતૃત્વ હેઠળ નક્સલવાદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવામાં આવ્યો છે. દેશ સુરક્ષિત બનવાની સાથે ‘ઓપરેશન સિંદૂર’ જેવી મહત્વપૂર્ણ પહેલો અને શાંતિ સ્થાપવાના નકકર પ્રયાસોથી દેશમાં નવી જાગૃતિ અને ભયમુક્ત વાતાવરણ ઊભું થયું છે.

વૈશ્વિક સ્તરે ‘યોગ’નો સ્વીકાર અને સાંસ્કૃતિક ગૌરવ ભારત માત્ર આર્થિક કે માળખાકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પોતાની સાંસ્કૃતિક વિરાસતનો ડંકો વગાડી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન યોગને આજે દુનિયાના તમામ દેશોએ સહર્ષ સ્વીકાર્યો છે, જે ભારતના વિશ્વગુરુ બનવા તરફના મજબૂત કદમ દર્શાવે છે. જ્યારે દરેક વ્યક્તિ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખશે, ત્યારે જ ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે વિશ્વ સમક્ષ ઉભરી આવશે.

આમ તેમણે ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. સરકાર દેશના છેવાડાના (અંત્યોદય) નાગરિક સુધી સમૃદ્ધિ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખેડૂતલક્ષી યોજનાઓના લાભો પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

પાણીપુરવઠા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલે પણ સંમેલન ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણો દેશ પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યો છે, ત્યારે જનકલ્યાણ એ સરકારની પ્રાથમિકતા રહી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સબળ નેતૃત્વમાં આજે ભારત અવિરત પ્રગતિ અને સર્વતોમુખી વિકાસની નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે.

છેલ્લા વર્ષોમાં દેશમાં જે પરિવર્તન આવ્યું છે, તે સાચા અર્થમાં ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ નો ત્રિવેણી સંગમ છે. આપણી સરકારની નીતિઓ માત્ર કાગળ પર નથી, પણ સમાજના છેવાડાના માનવીની આશા અને આકાંક્ષાઓને સ્પર્શનારી છે. ગરીબોનું કલ્યાણ હોય, યુવાશક્તિને પાંખો આપવાની હોય, આપણા અન્નદાતા ખેડૂતોને સદ્ધર કરવાના હોય, કે પછી નારીશક્તિનું સન્માન અને મધ્યમ વર્ગીય પરિવારોને મજબૂતી આપવાની હોય—દરેક ક્ષેત્રમાં સરકારે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે.

આ વિકાસયાત્રા કોઈ એક વ્યક્તિની નથી, આપણા સૌની સહિયારી યાત્રા છે. ચાલો, આપણે બધા સાથે મળીને, ખભેથી ખભો મિલાવીને દરેક ક્ષેત્રની સેવાને વધુ બહેતર અને પ્રભાવશાળી બનાવવા માટે અવિરત કાર્યરત રહીએ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમણે ઉપસ્થિત લોકોને આહવાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને દેશના પ્રધાનમંત્રી સુધીની સફરના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

આજે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દાયકાઓ જૂના સંઘર્ષો, ઐતિહાસિક નિર્ણયો અને લોકકલ્યાણના કાર્યોને યાદ કરી તેમના દીર્ઘાયુની કામના કરી હતી.

આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ડિમ્પલબહેન રાજ, ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ, જિલ્લા અગ્રણી શ્રી પ્રકાશ મોદી, અંક્લેશ્વર અને પાનોલી એસોસિએશનના પ્રમુખશ્રી, તેમજ અંક્લેશ્વર શહેર અને જિલ્લાના વેપાર-ઉદ્યોગ મંડળો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો તેમજ જાગૃત નાગરિકોને આ સંમેલનમાં ઉપસ્થિત રહી વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સહભાગી થયા હતા.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!