રાજપીપળા,
– ગુજરાત મોડલ દેશભરમાં લાગુ : કેવડિયા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે યોજાશે પ્રથમ ‘રાષ્ટ્રીય ચિંતન શિબિર’, વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન
– IAS અધિકારીઓ તેમજ વિવિધ મંત્રાલયોના ઉચ્ચ સચિવો ખાસ ઉપસ્થિત રહેશે
કેવડિયા (એકતા નગર) હવે માત્ર એક વૈશ્વિક પ્રવાસન ધામ નથી રહ્યું, પરંતુ તે રાષ્ટ્રીય શાસન વ્યવસ્થા અને વહીવટી સુધારાઓનું પણ એક પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે. દેશના વહીવટીતંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ગુજરાતના ‘ગુડ ગવર્નન્સ’ (સુશાસન) મૉડલને હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી રહ્યું છે.
કેવડિયામાં દેશભરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ (DGP), સ્પીકર્સ અને વહીવટી અધિકારીઓની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો યોજાઈ ચુકી છે. ટેકનોલોજી આધારિત શાસન: ગુજરાત સરકારની જેમ જમીન મહેસૂલ સેવાઓ અને ડિજિટલ રેકોર્ડ્સ જેવા વહીવટી કાર્યોને ટેકનોલોજીથી જોડીને દેશભરમાં સરળ બનાવવામાં આવી રહ્યા છે.
આયોજનબદ્ધ વિકાસ: કેવડિયામાં પર્યાવરણનું જતન, ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ અને સ્થાનિક આદિવાસીઓનો સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો છે.રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર: વહીવટી સુધારાઓ માટે ‘ગુજરાત ગુડ ગવર્નન્સ કમ્પેન્ડિયમ’ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં શાસન પ્રણાલી સુધારવા માટે એક તાલીમી માર્ગદર્શિકા તરીકે થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ગુજરાતના સુશાસન મૉડલને દેશભરમાં અપનાવવામાં આવી રહ્યું છે, જેથી આધુનિક ભારતનું નિર્માણ થઈ શકે.
ગુજરાતમાં સરકારી વહીવટને વધુ સુદ્રઢ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓ માટે યોજાતી ‘ચિંતન શિબિર’નું મોડલ હવે કેન્દ્ર સરકાર પણ અપનાવવા જઈ રહી છે. દેશની શાસન વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના હેતુથી હવે કેન્દ્રીય સ્તરે પણ રાષ્ટ્રીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય હેઠળ દેશભરના ટોચના વહીવટી કુશળ અધિકારીઓ એક મંચ પર એકઠા થઈને દેશના વિકાસ અને સુશાસન અંગે ગહન ચર્ચા-વિચારણા કરશે.
આ મહાત્વાકાંક્ષી આયોજન અંતર્ગત આગામી 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પ્રથમ રાષ્ટ્રીય ચિંતન શિબિર યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રથમ શિબિરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. આ શિબિરમાં દેશના વહીવટી માળખાને ચલાવતા પ્રખર IAS અધિકારીઓ તેમજ વિવિધ મંત્રાલયોના ઉચ્ચ સચિવો ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓનું સેવા સન્માન કરવા ઉપરાંત, આધુનિક ટેકનોલોજી અને સરળ વહીવટ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.જેના મુખ્ય વિષયો છે સુશાસન, રાષ્ટ્રીય વિકાસ અને એક ભારત શ્રેષ્ઠ ભારત.ખાસ ઉદ્દેશ્ય નીતિ આયોગ અને વિવિધ મંત્રાલયોના કાર્યોની સમીક્ષા અને નવી યોજનાઓનું આયોજન છે.
પ્રવાસન ધામની સાથે હવે રાષ્ટ્રીય શાસન વ્યવસ્થાનું કેન્દ્ર કેવડિયાબનશે.કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે હવેથી દર વર્ષે 31 ઓક્ટોબરે (રાષ્ટ્રીય એકતા દિવસ) આ રાષ્ટ્રીય ચિંતન શિબિરનું આયોજન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાનિધ્યમાં જ કરવામાં આવશે. આ નિર્ણયથી કેવડિયા વૈશ્વિક પ્રવાસન સ્થળ હોવાની સાથે-સાથે હવે દેશની રાષ્ટ્રીય શાસન વ્યવસ્થા અને નીતિ ઘડતર માટેનું એક મોટું કેન્દ્ર બની રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વહીવટી કુશળતા દ્વારા સાકાર કરવા માટે આ શિબિર દેશના વિકાસમાં એક નવો સીમાચિહ્ન સાબિત થશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)