ભરૂચ,
– રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલમાં
– મુલાકાતીઓએ પોલીસ અને પુરાતત્વ વિભાગની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત
– સ્મારકને નુકસાન પહોંચાડતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો ભીડ દરમ્યાન તબક્કાવાર મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે
– મસ્જિદમાં સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારના ફેરફાર પર પ્રતિબંધ
– જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ અને વધતી સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલા આ સ્થળની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે.
જાહેરનામા મુજબ સ્મારકની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓએ પોલીસ તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. સ્મારકની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને તેને નુકસાન પહોંચાડે તેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વધુમાં, ભીડભાડની સ્થિતિ સર્જાય ત્યારે મુલાકાતીઓને તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે.મસ્જિદના મૂળ સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર, નવું બાંધકામ કે અન્ય પ્રવૃત્તિ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે જાહેરનામાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હિન્દુ અને જૈન સમાજના કેટલાક લોકો દ્વારા આ સ્થળ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવતા વિવાદ ઊભો થયો હતો. તે દરમિયાન પુરાતત્વ વિભાગે પણ મસ્જિદની અંદર થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથધરી હતી.
સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સ્મારકનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે હેતુથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)