અંકલેશ્વર, ભરૂચ
• આગની જાણ થતાં આસપાસના વેપારીઓ અને લોકોમાં ભારે દોડધામ મચી ગઈ.
• DPMC ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ.
• આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, વધુ તપાસ હાથ ધરાઈ છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ સ્ક્વેર ખાતે આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતાં દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ DPMC ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગને અન્ય દુકાનો સુધી ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો પણ હજુ સામે આવી નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

