ભરૂચ,
• લેપ્રસી કેસ ડીટેક્શન કેમ્પેઇન (LCDC) અંતર્ગત શંકાસ્પદ દર્દીઓની ઓળખ, નિદાન અને સારવાર માટે વિશેષ ઝુંબેશ
ભરૂચ શહેર તથા જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત્તના દર્દીઓની વહેલી તકે ઓળખ કરી તેમને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા માટે તા.૦૮ થી ૧૮ જૂન, ૨૦૨૬ દરમિયાન લેપ્રસી કેસ ડીટેક્શન કેમ્પેઇન (LCDC) હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લામાં ૧૨૨૨ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈ સર્વેની કામગીરી કરવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરા શુક્લા તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, અભિયાનનો મુખ્ય હેતુ રક્તપિત્તના દર્દીઓને શોધી તેમને સમયસર સારવારના દાયરામાં લાવવાનો છે. છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન જ્યાં રક્તપિત્તના કેસ નોંધાયા હતા તેવા ગામો અને વિસ્તારોને પણ આ ઝુંબેશમાં આવરી લેવામાં આવ્યા છે.
અભિયાન માટે કાર્યરત દરેક ટીમમાં એક આશા વર્કર અને એક પુરુષ આરોગ્ય કર્મચારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મમતા દિવસ અને જાહેર રજાઓને બાદ કરતાં કુલ ૦૭ દિવસ સુધી ટીમો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં દરરોજ અંદાજે ૩૦ થી ૪૦ ઘરોની મુલાકાત લઈ પરિવારના સભ્યોની શારીરિક તપાસ કરશે.
સર્વે દરમિયાન કોઈ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાય તો તેમને વધુ તપાસ, નિદાન અને સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે.
નિદાન બાદ દર્દીઓને ૦૬ થી ૧૨ માસ સુધી મલ્ટી ડ્રગ થેરાપી (MDT) સારવાર આપવામાં આવશે, જેના દ્વારા રક્તપિત્તનો રોગ સંપૂર્ણપણે મટાડી શકાય છે.
ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સર્વે માટે આવતી ટીમોને જરૂરી માહિતી આપી સહકાર આપે, જેથી રક્તપિત્તમુક્ત સમાજના નિર્માણના પ્રયાસોને વધુ વેગ મળી શકે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
