ભરૂચ,
• મસ્જિદની અંદર કરવામાં આવેલા વધારાના બાંધકામને પોલીસ બંદોબસ્ત સાથે તોડવામાં આવ્યા
• છેલ્લા ઘણા સમય જુમ્મા મસ્જિદને લઈને ચાલી રહ્યો છે વિવાદ
• કાર્યવાહીથી સંતોષ પણ હજુ માત્ર ૨૫ ટકા કામ થયું છે : મુક્તાનંદ સ્વામી
ભરૂચ શહેરની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી જુમ્મા મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. લગભગ 6 મહિનાથી જુમ્મા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સોમવારે સવારથી પુરાતત્વ વિભાગની મંજૂરી વિના કરવામાં આવેલા વધારાના બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આ કામગીરી દરમ્યાન મસ્જિદના પાછળના ભાગે આવેલા એક દરવાજાને પણ સીલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી અનુસાર ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કેટલાક સંગઠનો દ્વારા મસ્જિદનું સ્થળ પ્રાચીન જૈન સ્મારક અથવા જૈન સમરી વિહાર અને ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનું દાવો કરવામાં આવતા મામલો ચર્ચામાં રહ્યો હતો. આ મુદ્દે વિવિધ સ્તરે રજૂઆતો વિરોધ અને આંદોલનો પણ થયા હતા.
આ દરમ્યાન પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્મારક વિસ્તારમાં જરૂરી મંજૂરી લીધા વગર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો સામે આવતાં સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ નિયમો અનુસાર આજ રોજ વધારાના બનાવવામાં આવેલા વજુ ખાનાના બાંધકામને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ બી ડિવિઝન પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અધિકારીઓ અને કર્મચારીઓએ વધારાના બાંધકામને દૂર કરવાની કામગીરી હાથધરી હતી.
તોડવાની કામગીરી હાથ ધરાતા શંકરા ચાર્ય મઠના વ્યવસ્થાપક સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે ઐતિહાસિક જૈન મંદિર ચક્રધર રાષ્ટ્રીય ધરોહર સહરક્ષણ સમિતિના માધ્યથી છેલ્લા અઢી વર્ષથી વિવિધ મુદ્દાઓને લઈને લડત ચલાવવામાં આવી હતી. આવેદનો, અનશન અને જનજાગૃતિ સહિતના વિવિધ કાર્યક્રમો થકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.પુરાતત્વ વિભાગમાં આવતી તમામ ધરોહરમાં સમાન નિયમો હોવા છતાં અહીં નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું હતું. હજુ પણ કેટલુક બાંધકામ છે જે દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોમાં આ કાર્યવાહી અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. ઐતિહાસિક સ્મારકોના સંરક્ષણ અને કાયદાકીય જોગવાઈઓના પાલનને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
જોકે, સમગ્ર મામલે સંબંધિત વિભાગો તરફથી સત્તાવાર નિવેદન બાદ વધુ વિગતો સ્પષ્ટ થવાની શક્યતા છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
