ભરૂચ,
જંબુસર નગરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ-સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે જંબુસર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલું પશુ છે.ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
આવેદનપત્ર આપવા મુફ્તી અહમદ દેવલવી સાહેબ (જામિયતે ઉલમાએ હિન્દ – પ્રમુખ, ગુજરાત), ઝાકીરભાઈ શેખ (પ્રમુખ – એહલે વલ સુન્નત જમાત), મોહમ્મદહનીફ શેખ (અમીર જમાતે એહલે હદીસ), શાકીરહુસેન મલેક, અનિશભાઈ અડવોકેટ, સઈદભાઈ મલેક અને મુસ્તાકભાઈ કારભારી સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે તમામ સમાજોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ.જંબુસર મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગાયના સંરક્ષણ, ગૌશાળાઓને પ્રોત્સાહન અને ગૌવંશના કલ્યાણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત લોકોએ સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર સદભાવના જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)