અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં આતંક મચાવતો દીપડો આખરે વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં પુરાયો છે. જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં હાશકારો ફેલાયો છે.
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે વન વિભાગને મોટી સફળતા મળી છે. ગામમાં આવેલ કેસુ બાપાની વાડી ખાતે વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં રાત્રિ દરમિયાન એક દીપડો પુરાયો હતો.
અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની અવરજવર અને બોલબાલા જોવા મળી રહી છે. ખાસ કરીને અવાદર, ઉછાલી, ભાડી, ખરોડ અને સેંગપુર સહિતના વિસ્તારોમાં દીપડાની હાજરીને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગત અઠવાડિયે સેંગપુર ગામમાં એક વાછરડાનું દીપડાએ મારણ કરતા વન વિભાગ સતર્ક બન્યું હતું. ત્યારબાદ દીપડાને પકડવા માટે કેસુ બાપાની વાડી ખાતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની કામગીરીને સફળતા મળતા રાત્રિ દરમિયાન દીપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પકડાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી.
હાલ વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
