અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે આવેલ મહારાજા નગર નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ન્હાવા પડેલી બે યુવતી અને એક બાળક ડૂબવાના આરે પહોંચતા ચકચાર મચી હતી. જોકે જાગૃત નાગરિકની સતર્કતા અને પાનોલી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે ત્રણેયનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, મહારાજા નગર વિસ્તારની બે યુવતી અને એક બાળક ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ન્હાવા માટે ઉતર્યા હતા. દરમિયાન પગ લપસતા તેઓ પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. ઘટના નજરે પડતા નજીકમાં હાજર ઓટો રિક્ષા ચાલક ઝુબેર શિદાતે તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બાતમી મળતા જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી બચાવ સાધનોની મદદથી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે બચાવ કામગીરી પૂર્ણ થતાં જ બે યુવતી અને બાળક સ્થળ પરથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય પરિવારને જાણ કર્યા વગર અને પૈસા વિના ઘરેથી નીકળ્યા હતા. સમયસર બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી, જેને લઈ સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે ઉનાળાની ગરમી દરમિયાન મોટી સંખ્યામાં લોકો કેનાલમાં ન્હાવા ઉતરતા હોય છે, જેના કારણે અનેકવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
