અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ સુહાની ગલીમાં ચાલતા જુગારધામ પર અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે દરોડો પાડી 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા સહિત કુલ રૂ.20,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંકલેશ્વર ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમી મળી હતી કે કસ્બાતીવાડની સુહાની ગલીમાં રહેતો શાહબાઝ ઉર્ફે ટાઇગર નસરૂલ્લાખાન પઠાણ પોતાના રહેણાક મકાનમાં બંધ બારણે કેટલાક ઇસમોને ભેગા કરી ગંજીફાના પત્તા દ્વારા પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે જુગારધારા કલમ-6 મુજબ વોરંટ મેળવી પંચો સાથે ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મકાનના દરવાજા ખખડાવતા અંદરથી દરવાજો ખુલતા પોલીસ ટીમ ઘરમાં પ્રવેશી હતી. જ્યાં બીજા રૂમમાં કેટલાક ઇસમો ગોળમાં બેસી પત્તા પાના વડે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)