અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વર શહેરમાં પ્રેમપ્રકરણને લઈને એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. જુના બોરભાઠા ગામ નજીક ખેતરમાંથી રિક્ષાચાલકનો ગળું કાપેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી છે.
મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામે રહેતા કાંતીલાલ ઉર્ફે મુકેશ મોભેરા અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે. ગઈકાલે સવારે કાંતીલાલ રોજની જેમ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા. જોકે બપોરે 12 વાગ્યા બાદ તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી ત્યારે સાંજના સમયે જુના બોરભાઠા રોડ નજીક બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલા ખેતરમાંથી તેમની લાશ મળી આવી હતી. મૃતકનો સફેદ શર્ટ લોહીથી ખરડાયેલો હતો અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળથી થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી. મૃતકની પત્ની ભારતીબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા આઠ વર્ષથી તલાવીયાવાડ વિસ્તારમાં રહેતી તેમના સગા કાકાના દીકરાની વિધવા પત્ની જ્યોતિ રાઠોડ સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે મોટો વિવાદ પણ થયો હતો. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે જ્યોતિ રાઠોડ અને તેના હાલના પ્રેમી અને પીરામણ ગામમાં રહેતા સંજય વસાવાએ મળીને કાંતીલાલની હત્યાની સાજિશ રચી હતી. અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
