અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને સંબોધીને મામલતદારને આવેદન પાઠવી ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ગાયને વિશેષ સ્થાન આપવાની વિનંતી કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ ધરાવતો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. ભારતીય કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
લેખિત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બનશે અને કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને સન્માન મળશે. આ સાથે સરકાર ગૌસંરક્ષણ અને ગૌસેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બકરી ઇદ પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો અને હિન્દૂ સમાજના આગેવાનો પણ જોડાયા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
