વડોદરા,
– અરવિંદ કેજરીવાલજીનું પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કાર્યકરોએ કર્યું ઉષ્માભેર સ્વાગત
– NEETનું પેપર લીક થતા 22 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા : અરવિંદ કેજરીવાલ
– ગુજરાત સરકાર પણ NEETના પરીક્ષાર્થીઓ માટે ફ્રી બસ સુવિધાની વ્યવસ્થા કરે : અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પધાર્યા છે. આજે તારીખ 24 મેના રોજ વડોદરા એરપોર્ટ ખાતે તેમનું આગમન થયું હતું. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પ્રદેશના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા NEET નું પેપર લીક થયું હતું જેના કારણે દેશના 22 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. આ પેપર લીકના કારણે મોટી સંખ્યામાં બાળકો દુઃખી થયા હતા અને ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. એ બાળકોને થોડી ઘણી સહાયતા થાય એ માટે પંજાબની AAP સરકારે એલાન કર્યું છે કે જે દિવસે NEETનું પેપર હશે એ દિવસે પરીક્ષાર્થીઓનું બસનું ભાડું માફ કરવામાં આવશે. ઘરથી સેન્ટર જવા સુધી અને સેન્ટરથી ફરીથી ઘર આવવા સુધીનું ભાડું માફ કરવામાં આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે ખૂબ જ ગરીબ છે એ લોકોની આ માંગ હતી. હું ગુજરાત સરકારને પણ અપીલ કરું છું કે NEETના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની સહાયતા કરે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રી બસોની વ્યવસ્થા કરવામાં આવે.
વધુમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ જણાવ્યું હતું કે હાલ હું સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યો છું કે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને પણ ડીઝલ લેવામાં ખૂબ જ સમસ્યા થઈ રહી છે અને પેટ્રોલ પંપ પર મોટી મોટી લાઈનો લાગે છે, ટ્રેક્ટરોની લાઈનો લાગી છે. જો ખેડૂતોને ડીઝલ નહીં મળે તો તેઓ ખેતી કઈ રીતે કરશે? પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ખૂબ જ વધી ગયા છે. બીજી તરફ રશિયા અને ઈરાન ભારત દેશને સસ્તામાં તેલ અને ગેસ આપવા માટે તૈયાર છે પરંતુ ભારત સરકાર એ તેલ અને ગેસ લેવા માટે તૈયાર નથી. તો મારી ભારત સરકારને વિનંતી છે કે રશિયા અને ઈરાન પાસેથી સસ્તામાં તેલ અને ગેસ ખરીદવામાં આવે જેથી દેશના લોકોને તેલ અને ગેસની અછતમાંથી અને મોંઘા તેલ અને ગેસમાંથી મુક્તિ મળી શકે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)