ભરૂચ,
ભરૂચ જિલ્લા જેલમાં તા. ૨૩-૦૪-૨૦૨૬ થી અને અંકલેશ્વર સબ જેલના મુલાકાતી વિસ્તારમાં તા. ૨૭-૦૪-૨૦૨૬ થી ‘લીગલ એઇડ હેલ્પ ડેસ્ક’ (કાનૂની સહાયતા કેન્દ્ર) નો વિધિવત શુભારંભ કરાયો છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી સાહેબ શ્રી પી. પી. મોકાશીના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના “મુલાકાત સે ન્યાય તક” અભિયાન અને રાજ્ય સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ ન્યાયની પ્રક્રિયાને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવવાનો છે. મુલાકાતના નિયત સમય દરમિયાન અહીં પેરા લીગલ વોલન્ટીયર્સ, જેલ વિઝિટ લોયર્સ અને પેનલ વકીલો હાજર રહેશે. તેઓ મુલાકાતીઓને પ્રાથમિક કાનૂની માહિતી, તેમના અધિકારો અને આગળની કાયદાકીય પ્રક્રિયાઓ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપશે. ‘
સૌના માટે ન્યાય’ ના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી ન્યાયિક પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે તેમ સત્તા મંડળ દ્વારા જણાવાયું છે. જેલમાં સજા કાપી રહેલા બંદીવાનોને તેમજ અન્ડર ટ્રાયલ પ્રિઝનર્સને મળવા આવતા તેમના પરિવારજનોને અને સગા-સંબંધિઓને કાયદાકીય મૂંઝવણોમાં યોગ્ય દિશા મળી રહે તે માટે આ વિશેષ ડેસ્ક કાર્યરત કરાયો છે. તેમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભરૂચ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)