ભરૂચ,
– ભરૂચમાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પરનો આશુતોષ સોસાયટી – ૩ યુવક મંડળનો ગણેશ પંડાલ ધાર્મિકતા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો
– આતંકી ઠેકાણાનો નાશ કરવામાં ભારતીય સૈનિકોએ દર્શાવેલા અદમ્ય સાહસ અને શોર્યની ઝાંખી દર્શાવવામાં આવી
ભરૂચ શહેરમાં લીંકરોડ પર આસુતોષ – ૩ સોસાયટી યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ખાસ ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ નો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા લેવાયેલા વળતા પગલાંની ઝાંખી રજૂ કરવાનો છે.આ થીમ ભારતના વીર જવાનોની શૌર્યગાથા અને દેશભક્તિની ભાવનાને દર્શાવે છે. આ ડેકોરેશનનું અદભુત અને વાસ્તવિક ચિત્રણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આ પંડાલમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા લેવાયેલા વળતા પગલાંની ઝાંખી સહિત ભારત દેશની સૈન્ય શક્તિ અને મિસાઈલો થકી પડોશી મુલ્ક પાકિસ્તાની આકાઓના વિવિધ આતંકી ઠેકાણાનો નાશ કરવામાં આવ્યા હતો તે અંગેની જાણકારી તેમજ ભારતીય સૈનિકોએ દર્શાવેલા અદમ્ય સાહસ અને શોર્યને બિરદાવી છે.
આસુતોષ – ૩ યુવક મિત્ર મંડળના ધર્મેન્દ્ર ઓઝારે જણાવ્યું હતું કે, પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા લેવાયેલા વળતા પગલાંની ઝાંખી રજૂ કરવાનો પ્રયાસ છે. વીર જવાનો અને વાયુ સેનાએ સફળતાપૂર્વક પાર પાડેલા ઓપરેશન સિંદૂરના અદમ્ય સાહસ અને શોર્યને અમે બિરદાવવા પ્રયાસ કર્યો છે.પંડાલ બહાર થોડા – થોડા અંતરે એ રીતે સ્વદેશી અપનાવવાના સ્લોગન લગાવવામાં આવ્યા છે. બાપાના દર્શને આવનાર દરેક ભક્તોને સ્વદેશી ચિજવસ્તુઓ અપનાવવાની વિનંતી માટે પેમ્પેલેટની વહેંચણી કરીએ છીએ.જેથી આર્થિક સ્થિતિ મજબૂત બનાવતા દેશના હિતમાં કાર્યકર્તા પોતાનું યોગદાન આપી શકે.
આસુતોષ સોસાયટી – ૩ યુવક મિત્ર મંડળ દ્વારા તૈયાર કરાયેલ આ ગણેશ પંડાલ ધાર્મિકતા અને રાષ્ટ્ર ભક્તિનો સંગમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ વર્ષે ભરૂચનો ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે દેશભક્તિ અને સામાજિક ચેતનાનું પ્રતીક બની ગયો છે. ‘ઓપરેશન સિંદૂર’ જેવી થીમ્સ યુવાનોમાં દેશપ્રેમની ભાવના જગાડી રહી છે અને ભારતીય સેનાના બલિદાનને માન આપી રહી છે.




