ભરૂચ,
– ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકર્તાઓ અને કોંગ્રેસને મજબૂત કરવા સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરી ભાજપ સામે ચૂંટણી લડવા સજ્જ થશે : ગ્યાસુદ્દીન શેખ
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે વોટર અધિકાર જનસભા અને જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ પ્રભારી ગ્યાસુદ્દીન શેખ અને ભીખા રબારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વોટર અધિકાર જનસભા અને જન અધિકાર અભિયાન યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે તેના અનુસંધાને ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે તાલુકા કોંગ્રેસનો વોટર અધિકાર જનસભા અને શહેર કોંગ્રેસનો જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ભરૂચ તાલુકા પ્રમુખ મકબૂલ અભલી, યુથ કોંગ્રેસના જીલ્લા પ્રમુખ શકીલ અકુજી, તાલુકા પંચાયતના વિરોધનપક્ષના નેતા હબીબ પટેલ, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિરોધ પક્ષના નેતા શમસાદઅલી સૈયદ, કોંગ્રેસી આગેવાન ઝુબેર પટેલ, સુલેમાન પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરી આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને પ્રબળ જીત અપાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
આવી જ રીતે વાગરા તાલુકા ખાતે પણ વોટર અધિકાર જનસભા અને જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ પ્રભારી ગ્યાસુદ્દીન શેખ અને ભીખા રબારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સુલેમાન પટેલ, વાગરા તાલુકા પ્રમુખ આસિફભાઇ સરપંચ તથા મોટી સંખ્યામાં વાગરા તાલુકાના લોકો જોડાયા હતા.
અમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને પ્રભારી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકર્તાઓમાં જે નિરાશા વ્યાપી છે તેને દૂર કરી તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લાકક્ષાએ બેઠકો યોજવામાં આવી રહી છે. આ અભિયાનથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા પેદા કરી આવનારા સમયમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને મજબૂત બનાવી ગુજરાતમાં ફરી સક્ષમ કરવા માટે કાર્ય કરવામાં આવશે. આગામી ૧૦ થી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે અને ડિસેમ્બરમાં ગુજરાતમાં યાત્રા યોજી શકે છે, સાથે જ મુસ્લિમ સમાજનો આપ પાર્ટી બાજુ કોઈ ઝુકાવ નથી, આપ અને ભાજપ એક સિક્કાની બે બાજુ હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ અન્ના આંદોલન આરએસએસનુ આંદોલન હતું તેમાંથી કેજરીવાલનો જન્મ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.





