ભરૂચ,
ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગોની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે. ખાસ કરીને નબીપુરથી ભરૂચ તરફ જતો સર્વિસ રોડ તો હાલ કચરાપેટી સમાન બની ગયો છે. રોડ પર જગ્યા જગ્યા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
ગત રોજ નબીપુરથી ભરૂચ તરફ જતાં આ સર્વિસ રોડ પર એક ભારે ટ્રક ખાડામાં ફસાઈ જતા લાંબી લાઈનો લાગી ગઈ હતી. પરિણામે અન્ય વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ જ મરમ્મત કામ કરવામાં આવ્યું નથી. વારંવાર રજૂઆતો કર્યા છતાં તંત્ર કાનમાં તેલ નાખી સૂતું રહ્યું છે. ભારે વરસાદ બાદ માર્ગોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને હવે અકસ્માતની શક્યતા પણ વધતી જાય છે. લોકોએ તાત્કાલિક માર્ગોની મરમ્મત કરવાની માંગણી કરી છે, જેથી રોજિંદી મુસાફરીમાં થતી મુશ્કેલીથી રાહત મળી શકે.
હાઈવેની અન્ય એક સમસ્યા એ છે કે વર્ષો પહેલા જયારે હાઈવેનું નિર્માણ થયું તે વખતે આખો હાઈવે એક સાઇડ 3 લેન કરવામાં આવ્યો હતો પરંતુ માંચ અને વરેડીયાની વચ્ચે આવેલ ભૂખી ખાદીનો બ્રિજ જે હાલતમાં હતો એજ હાલતમાં રાખવામાં આવ્યો હતો. વળી આ બ્રિજની હાલત એટલી કફોડી છે કે 2 લેન હોવા છતાં વાહન ચાલકોને માંડ માંડ એક જ લેનનો ઉપયોગ કરવો પડે છે. હાઈવે ઑથીરિટીની ટેવ મુજબ આ બ્રિજ ઉપર પણ લોખંડની પ્લેટ મૂકી આ બ્રિજને ચાલુ રાખવામાં આવ્યો છે. દિવસે દિવસે હાઈવે પર ટ્રાફિક વધતો હોય અને આ બ્રિજનું મરમ્મત થતું ના હોય આ બ્રિજના કારણે 5-5 કીમી લાંબી લાઈનો થઇ જાય છે. ભારતના હાર્ટ સમાન આ હાઈવે પરથી તમામ સરકારી બાબુઓ તથા મંત્રીઓની અવર જવર થતી હોવા છતાં આ બ્રિજની મરમ્મત કરવા વિષે વહીવટી તંત્રને વિચાર સુદ્ધા આવતો નથી. કદાચ સરકાર બીજા ગંભીરા અકસ્માતની રાહ જોતી હોય એવુ કહી શકાયઃ





