ભરૂચ,
– સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા
ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ તરીકે ભરૂચ ડિસ્ટ્રીક સેન્ટર કો-ઓપરેટીવ બેંક લિમિટેડ પસંદ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, વાગરાના ધારાસભ્ય અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન અરુણસિંહ રાણા, દુધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ ભરૂચ ભાજપ જીલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ સહકારી મંડળીઓના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સહકારી આંદોલનની મજબૂતી અને ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો. તેમણે સહકાર સંસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારની યોજનાઓ અને પગલાંની માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્ર રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી છે અને સહકારની શક્તિથી સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સાથે મંત્રીએ સંવાદ કર્યો અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું. સહકારી મંડળીઓની પારદર્શિતા, આધુનિકીકરણ અને ડિજિટલાઇઝેશન પર પણ ચર્ચા કરવામાં આવી.





