ભરૂચ,
– ભરૂચ જીલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક
ભરૂચ જીલ્લામાં આગામી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે જેમાં જીલ્લા ન્યાયાલય ભરૂચ અને જીલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આ લોક અદાલત યોજાશે. પક્ષકારોએ તેમના સમાઘાનપાત્ર કેસો કોર્ટમાં રજુ કરવા માટે જાતે અથવા તેમના વકીલ મારફતે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો પડશે. આ લોક અદાલતનો હેતુ કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે. લોકોના સમય અને ખર્ચની બચત થાય તે માટે આ લોક અદાલત યોજાશે.
આ લોક અદાલત નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ-દિલ્હી અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના તેમજ અધ્યક્ષ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચના માર્ગદર્શન હેઠળ યોજાનાર છે.
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચના સચીવ પી.પી.મોકાશીએ જણાવ્યું હતું કે આ લોક અદાલતમાં નાગરીકો લગ્નવિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સીવીલ દાવા, જમીન સંપાદન, અકસ્માત વળતર દાવા, મજુર તકરારના કેસો, વીજળી સંબંધિત કેસો સહિત સમાધાન લાયક કેસો રજુ કરી શકશે. પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલત સમક્ષ મુકામ સંબંધિત કોર્ટ અથવા જીલ્લા કાનુની સેવા સત્તા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ તેમજ તાલુકાકક્ષાએ તાલુકા કોર્ટોમાં કાર્યરત તાલુકા કાનુની સેવા સમિતિઓનો સંપર્ક કરવો તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.




