ભરૂચ,
ભરૂચ શહેર અને જીલ્લામાં શ્રીજી ઉત્સવની ઉજવણીનો થનગનાટ અત્યારથી જ વર્તાવા લાગ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો માટી માંથી ઈકો ફેન્ડલી શ્રીજી પ્રતિમાના સર્જનમાં વ્યસ્ત બની આખરી ઓપ આપી રહ્યા છે.
ભરૂચ શહેરમાં છેલ્લા ૧૨ વર્ષેથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી પ્રતિમાના સર્જન માટે ધામાં નાખ્યા છે. તેઓ પાવન નર્મદા નદીની માટી માંથી ઈકો ફ્રેન્ડલી નયનરમ્ય ૬ ઈંચથી ૭ ફૂટની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે જેની શ્રીજી મહોત્સવ આયોજકોમાં ભારે માંગ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ છેલ્લા એકાદ મહિનાથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક નર્મદા નદીની માટી માંથી ૨૦૦ થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. આ શ્રીજી પ્રતિમાઓને રંગ રોગાન સાથે શણગાર કરી આયોજકોની માંગ મુજબ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવતી ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન દરમ્યાન નર્મદા નદીના જળમાં સહેલાઈથી ઓગળી જતી હોવાથી જળચર જીવોને પણ નુકસાન થતું નથી તેમજ જળ પ્રદૂષણ પણ અટકાવી શકાય છે તેથી હવે શ્રીજી આયોજકો પણ નર્મદા નદીની માટી માંથી તૈયાર થતા શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવાનો આગ્રહ રાખી રહ્યા છે જેથી મૂર્તિકારો પ્રતિમાને આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. પશ્ચિમ બંગાળના મૂર્તિકારો શ્રીજી ઉત્સવ ઉપરાંત બંગાળી સમાજના દુર્ગા મહોત્સવમાં પણ દુર્ગા માતા સહિત વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ નર્મદા નદીની માટી માંથી તૈયાર કરતા હોય છે.





