ભરૂચ,
– ઓટોરિક્ષા સ્ટેન્ડ બાબતે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને વર્ષોથી ચલાવેલી લડત રંગ લાવી
ભરૂચ શહેરના રોડ રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે.ભરૂચ જિલ્લામાં ૧૬ હજારથી વધુ રોજગારીનું સાધન બની રહેલ ઓટોરિક્ષા ચલાવતા ચાલકો પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ઓટોરિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે. જય ભારત ઓટોરિક્ષા એસોસિયેશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટોરિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટીતંત્ર સામે માંગ કરી હતી. ચાર વર્ષથી ચાલતી વારંવારની રજૂઆતોનું અંતે સુખદ પરિણામ આવ્યું હતું. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વાર ભરૂચ શહેરમાં ૩૦ જગ્યાઓ પર ઓટોરિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાડેશ્વર તરફના પ્રથમ ઓટોરિક્ષા સ્ટેન્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, સામાજિક આગેવાન અરવિંદસિંહ રણા, ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર, આર.ટી.આઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત સહિત વિવિધ પત્રકાર સંગઠન પ્રમુખો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને લઈ ઓટોરિક્ષા ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓટોરિક્ષા એસોસિયેશનના પ્રમુખ આબીદબેગ મિર્ઝાએએ આ પ્રસંગે વિહિવટી તંત્ર અને તેમના સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.





