ભરૂચ,
– જય આદિવાસી મહાસંઘ નેત્રંગ દ્વારા તાલુકાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
જય આદિવાસી મહાસંઘ દ્રારા તા.૮ મીના રોજ કાંટીપાડા ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મહાસંઘ થકી નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓને લગતા કેટલાક વણઉકેલ્યા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ, જેના અનુસંધાને તેના નિરાકરણ બાબતે આજે તા.૧૧.૦૮.૨૫ના રોજ એક આવેદનપત્ર નેત્રંગ મામલતદારને પાઠવવામાં આવ્યું જે મુજબ (૧) નેત્રંગ તાલુકામાં આવેલ તમામ ફોરેસ્ટ વિલેજના ગામોને તાત્કાલિક ધોરણે રેવન્યુમાં ફેરવવામાં આવે (૨) નેત્રંગ તાલુકામાં વન અધિકાર કાયદો ૨૦૦૬ મુજબ સામુહીક દાવા અરજીઓ કરેલ છે જેમાં જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ તરફથી ફક્ત ૨ થી ૩ જ અધિકારો મંજુર કરેલ છે જેમાં બાકીનાં પણ મંજુર કરવામાં આવે તેમજ સામુહિક અધિકારના દાવા જે ગામોમાં નથી થયા તે ગામોમાં ફોર્મ (ઘ) ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે (૩) વન અધિકાર કાયદો ૨૦૦૬ મુજબ વ્યક્તિગત દાવા અરજીઓ કરવામાં આવેલ છે અને આ દાવાઓનું ક્ષેત્રફળ પેસા કાનુન ૧૯૯૬ મુજબ ગ્રામસભા યોજી ગ્રામસભાએ દાવેદારની માંગણી મુજબનું ક્ષેત્રફળ મંજુર કરેલ છે, પરંતુ જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ તરફથી જે પણ દાવાઓ મંજુર કરેલ છે તે એકદમ ઓછા ક્ષેત્રફળ મંજુર કરી આદેશ પત્ર આપેલ છે. તેને તાત્કાલિક ગ્રામસભાના મંજુર ક્ષેત્રફળ પ્રમાણે જમીન મંજુર કરવામાં આવે (૪) વન અધિકાર કાયદા ૨૦૦૬ હેઠળ જે દાવેદારોને અધિકાર પત્ર માલ છે તેવા દાવેદારોને સરકાર તરફથી PMKSNY યોજના હેઠળ રૂ ૨૦૦૦ આપવામાં આવે છે (૫) જંગલ જમીનના દાવેદારોને આદેશ પત્ર આપેલ છે.તેવા દાવેદારોને જમીન લેવલીંગ તેમજ બોર મોટર લાઈટની વ્યવસ્થા માટે સીમિત ઓછા લક્ષ્યાંકમાં મંજુરી મળે છે. આ બાબતે લાભાર્થીઓ નો લક્ષ્યાંક વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ તાલુકાના શિક્ષણને લગતા, રોડ રસ્તાઓ તેમજ અન્ય કેટલાક પ્રશ્નોને લઈને આવેદનપત્ર જય આદિવાસી મહાસંઘ થકી પાઠવેલ છે.





