ભરૂચ,
ભરૂચ-અંકલેશ્વર નર્મદા બ્રિજને મળશે સેફ્ટી ગ્રિલ લગાડવાથી સ્યુસાઈડ પોઈન્ટનો કલંક મટશે : આત્મહત્યાના બનાવોમાં ઘટાડો થાય તેવી આશા
ભરૂચની મધ્યમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર ભરૂચ-અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી જ સ્યુસાઈટ પોઈન્ટ તરીકે કુપ્રસિદ્ધ રહ્યો હતો. આપઘાતના બનાવો અટકાવવા વારંવાર સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવતા લાંબા સમય બાદ અંતે તેને સુરક્ષા કવચ મળશે જેથી આપઘાતના બનાવો અટકશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.
ભરૂચની મધ્યમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયું અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ આ બ્રિજ જાણે આત્મહત્યા માટે એપી સેન્ટર બન્યો હોય તેમ રોજ બરોજ લોકો આત્મહત્યા કરતા સ્યુસાઈટ પોઈન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં કુપ્રસિધ્ધ થયો હતો જેના કારણે સામાજિક યુવા આગેવાન યોગી પટેલ દ્વારા સેફ્ટી ગ્રિલ લગાડવા માટે એક વર્ષ ઉપરાંતથી લડત ચલાવી હતી અને કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કર્યા બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી
જે રજૂઆત બાદ વહીવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા વહેલા વહેલી તકે સેફ્ટી ગ્રિલ લાગે અને આત્મહત્યાના બનાવ અટકે તેની ગંભીરતા લઈ ૧.૫૫ કરોડના ખર્ચે બ્રિજની બન્ને બાજુ સેફ્ટી ગ્રિલ લગાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે.
હાલમાં પ્રારંભિક તબક્કા હેઠળ સેમ્પલિંગ માટે સેફ્ટી ગ્રિલ લગાડવામાં આવી છે જે સેમ્પલિંગ બાદ જો ડિઝાઈન કે મટીરીયલમાં ફેરફાર જરૂરી જણાશે તો તે કરવામાં આવશે. આગામી દિવસોમાં સેફ્ટી ગ્રીલના મટીરીયલની ચકાસણી પૂર્ણ કરી યોગ્ય હશે તો બ્રીજની બંને બાજુ સંપૂર્ણ સેફ્ટી ગ્રિલ લગાવવાની કામગીરી હાથ ધરાશે.
સામાજિક યુવા આગેવાનો દ્વારા અગાઉ બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાવવાની માંગ સાથે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને અનુસરીને તંત્ર દ્વારા કામગીરી શરૂ થતા લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યાના અનેક બનાવો બન્યા છે ત્યારે આ પહેલથી હવે બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.





