ભરૂચ,
ભરૂચમાં ગણેશ ચતુર્થીના પર્વને પર્યાવરણ અને સુરક્ષિત રીતે ઉજવવા માટે સત ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા એક મહત્ત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. સંગઠને લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને બદલે માટીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરવા વિનંતી કરી છે.
સત ચેતના પર્યાવરણ સંગઠનના દિલીપસિંહ રાજના જણાવ્યા અનુસાર પીઓપીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને તેમાં વપરાતા રાસાયણિક રંગો જળ પ્રદૂષણનું કારણ બને છે,જે જળચર જીવો અને પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સંગઠન ઈકોફ્રેન્ડલી ગણેશ સ્થાપના પર ભાર મૂકી રહ્યું છે.
ઈકોફ્રેન્ડલી મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાની માંગ આ સાથે સત ચેતના પર્યાવરણ સંગઠને ભરૂચ શહેર અને જિલ્લાના એવા મંડળો માટે એક ખાસ માંગ પણ કરી છે, જેઓ ખરેખર માટીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરે છે. સંગઠનના હોદ્દેદારોએ વહીવટી તંત્રને વિનંતી કરી છે કે આવા મંડળોને નર્મદા નદીમાં પ્રતિમા વિસર્જિત કરવાની મંજૂરી આપવામાં આવે.
આ માંગ પાછળનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ અને સુરક્ષિત ગણેશ વિસર્જનને પ્રોત્સાહન આપવાનો છે.જો લોકોને ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવા બદલ આ પ્રકારની સુવિધા મળશે,તો વધુ લોકો આ પહેલમાં જોડાવા માટે પ્રેરાશે અને પર્યાવરણની સુરક્ષામાં યોગદાન આપી શકશે.




