ભરૂચ,
– ભક્તિમય માહોલમાં યાત્રા યોજાઈ હતી જે સોમવારના રોજ કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી જળાભિષેક કરશે
અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ભરૂચ જીલ્લા દ્વારા સૌ પ્રથમવાર ભરૂચથી કાવી કંબોઈની સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતા સાધુ સંતોએ શ્રધ્ધાભેર પ્રસ્થાન કરાવી હતી જે સોમવારના રોજ જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી રુદ્ર અભિષેક કરી પૂર્ણ કરવામાં આવશે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેથી શિવ ભક્તો ભક્તિ સાથે શિવ આરાધનામાં લીન બન્યા છે ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રસાર અને સંવર્ધનના આશયથી આયોજિત સમરસ કાવડ યાત્રાની શરૂઆત ભરૂચના ડભોઈયા વાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવને પાવન નર્મદાના જળથી સાધુ સંતોએ અભિષેક કર્યા બાદ મંદિરથી કરવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી સ્વામી રામચંદ્ર દાસજી વિવિધ સમુદાયના સાધુ સંતો, હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ વાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓએ કાવડ યાત્રાને શ્રધ્ધાભેર પ્રસ્થાન કરાવી તેઓ પણ જોડાયા હતા.
ડભોઈયાવાડ ખાતેથી નીકળેલ યાત્રા મહંમદપુરા, જંબુસર બાયપાસ વિવિધ માર્ગો પરથી પસાર થતા ૧૦૮ કાવડોનું ભક્તોનું ઠેર ઠેર પુષ્પોની વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
અખિલ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કાવડ યાત્રા રવિવારના સમગ્ર દિવસ દરમ્યાન શિવભક્તો કાવડ લઈને પગપાળા ચાલશે જે વિવિધ માર્ગો પરથી પસાર થઈ સાંજ સુધી જંબુસર ખાતે પહોંચશે અને વિરામ લઈ સોમવારની સવારે કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચશે જ્યાં મહાદેવ પર જળાભિષેક કરશે.જ્યાં દેશભર માંથી લાખો ભક્તો દર્શન કરવા અને જળાભિષેક કરવા આવતા હોય છે.તપસ્યા પૂર્વક પગપાળા ચાલીને પોતાના મનોરથો પૂર્ણ થવા સાથે જીવનમાં સુખ શાંતિ અને સમૃધ્ધિ મળે અને વિશ્વના કલ્યાણ અર્થે આ જળાભિષેક કરવામાં આવી રહ્યો છે.
હિન્દુ ધર્મ સેના ભરૂચના જીલ્લા પ્રમુખ પ્રયાગરાજ વાંસદીયાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા અમે સંકલ્પ લીધો હતો જે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે જેમાં ૧૦૮ કાવડ યાત્રા ભરૂચના પ્રગટેશ્વર મહાદેવ ખાતેથી જંબુસરના સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચશે જ્યાં મહાદેવને જળાભિષેક કરી સમાપન કરવા આવનાર છે.
ભરૂચમાં યોજાયેલ સમરસ કાવડ યાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો તો કાવડ યાત્રિકોને પણ કોઈ સમસ્યા ન સર્જાય તે માટે હિન્દુ ધર્મ સેના દ્વારા એમ્બ્યુલન્સ સહિત રિફ્લેક્ટર જેકેટની સુવિધા કરવામાં આવી હતી.





