ગોધરા,
ગોધરામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના નેતૃત્વમાં કરવામાં આવી. સાંપા રોડ ભક્તિનગર ખાતેના વિશાળ મેદાન પર આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, બાળકો અને વૃદ્ધોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
કાર્યક્રમમાં આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. મેડિકલ, આયુર્વેદ, આઇ.એ.એસ, આઇ.પી.એસ જેવા ક્ષેત્રોમાં સફળતા મેળવનાર અને સમાજ પ્રત્યે ઉમદા કામગીરી કરનારાઓને સન્માનિત કરાયા. આદિવાસી સમાજના સરપંચો, તાલુકા ડેલીગેટ અને જિલ્લા ડેલીગેટનું પણ સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં આદિવાસી ગણનાયકો ભગવાન બિરસા મુંડા, પુજનીય શ્રી ગુરુ ગોવિંદ, રાણા પૂંજા ભીલ જેવા મહાન વ્યક્તિઓને યાદ કરવામાં આવ્યા. સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમાજને લગતા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પણ ઉજાગર કરવામાં આવ્યા.
દરુંનિયા, દયાળ કાંકરા, કંકુથાભલા, ગોવિંદી સહિત અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પરંપરાગત પહેરવેશમાં સભામાં જોડાયા. ત્યારબાદ વિશાળ સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. આદિવાસી સમાજના લોકોએ પારંપરિક વાજિંત્રો અને ડી.જે.ના સથવારે શિસ્તબદ્ધ રીતે રેલીમાં ભાગ લીધો.
રેલી શહેરના લુણાવાડા રોડ, ભુરાવાવ ચાર રસ્તા, બસ સ્ટેન્ડ, બામરોલી રોડ થઈને વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી સત્યમ સોસાયટી ખાતે પૂર્ણ થઈ. રેલી દરમિયાન “જય જોહાર, જય આદિવાસી” ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
વિવિધ સ્થળોએ મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના આગેવાનો તેમજ રાજકીય પાર્ટીઓના નેતાઓએ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું. આદિવાસી સમાજે એકતા અને ભાઈચારા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. પંચમહાલ પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર પણ ખડેપગે હાજર રહી ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશકુમાર કોન્ટ્રાક્ટર – ગોધરા, પંચમહાલ





