ભરૂચ,
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આમોદ તાલુકાના માતર ગામના બે યુવાનોને જમવાની લાલચ આપીને ટોળકી દ્વારા અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી ઘાયલ કરાયા હતા.
ભરૂચ-દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આવેલા દેહગામ ટોલ નાકા નજીક બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, માતર ગામના એજાજ અને પ્રદીપ નામના યુવાનોને અજાણ્યા શખ્સોએ જમવાનું આપવાની બહાને ત્યાં બોલાવ્યા હતા ત્યાં પહોંચતાની સાથે જ સાંપા, વલણ અને પાદરા તાલુકાના શખ્સોએ તેમની ઉપર તીક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો. પ્રાથમિક અનુમાન પ્રમાણે, જૂની અદાવતના કારણે આ હુમલો યોજવામાં આવ્યો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. બંને યુવાનોને ઢોર માર મારીને ત્યાંજ છોડીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘાયલ એજાજે પોતાના સગા સંબંધીઓને ફોન કરી ઘટનાની જાણ કરી હતી તેના પછી 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.





