ઝઘડીયા,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામે કપિલેશ્વર મહાદેવના મંદિર નજીક વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં દીપડો પુરાયો હતો.
આ અંગે જાણવા મળ્યા મુજબ અશા ગામ નજીક પાછલા કેટલાક દિવસો દરમ્યાન દીપડો નજરે પડતા ગ્રામજનો અને ખાસ કરીને સીમમાં જતા ખેડૂતો,પશુપાલકો અને ખેતમ જુરોમાં ભય ફેલાયો હતો. ગામ નજીક દિપડાના આંટાફેરાથી ભયભીત બનેલા લોકોએ વનવિભાગને આ બાબતે જાણ કરી હતી ત્યારે વનવિભાગે સ્થળ પર જઈને તપાસ કરીને જ્યાં દિપડાની હાજરી જણાતી હતી તે સ્થળે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. વનવિભાગે મુકેલ પાંજરામાં એક માદા દિપડી ઝડપાઇ હતી અને તેણે પાંજરામાં મુકેલ મારણનું ભક્ષણ પણ કર્યું હતું. અસા ગામ નજીક ઝડપાયેલ આ માદા દીપડાને વનવિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવાશે એમ જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દિપડાની વસતિ જોવા મળે છે.તાલુકામાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં લેવાતો હોઈ શેરડીના ખેતરો દિપડા માટે આશ્રય સ્થાન મનાય છે.અશા ગામે નજરે પડતો દિપડો ઝડપાતા લોકોએ રાહતનો દમ લીધો હતો.




