ઝઘડીયા,
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં દિવસે દિવસે વધતી જતી જીવલેણ દુર્ઘટનાઓને પગલે જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થયા છે.ચાલુ સપ્તાહ દરમ્યાન જીઆઈડીસીમાં બે કંપનીઓમાં બે કામદારોના મોત થતાં જીઆઈડીસીની કંપનીઓમાં કામદારો કામ પર મુકતા લેબર કોન્ટ્રાક્ટરો અને કંપની સંચાલકોની બેદરકારી છતી થઇ છે. ગત તા.૨૮ મીના રોજ જીઆઈડીસીની વેલસ્પુન કંપનીમાં કલરકામ કરતા એક કામદારનું નીચે પડી જતા સારવાર દરમ્યાન મોત થયું હતું.જ્યારે હાલમાં તા.૧ લીના રોજ ઝઘડિયા જીઆઈડીસીની થર્મેક્ષ કંપનીમાં એક ૪૬ વર્ષીય કામદારનું રીસ્ટક ગાડી પર મુકેલ પીંજરા પરથી નીચે પડી જતા મોત થયું હતું.
મળતી વિગતો મુજબ ભરૂચ તાલુકાના કુરલા ગામનો ૪૬ વર્ષીય મયુરકુમાર મણિલાલ પટેલ નામનો ઈસમ તા.૧ લીના રોજ સવારના ૧૦-૪૫ કલાક દરમ્યાન થર્મેશ કંપનીના વેર હાઇસ ખાતે ગાડીના હાઈડ્રોલિક ઉપર પીંજરૂ મુકીને તેના પર ઉભો રહીને સામાનનો સ્ટોક ગણતો હતો.તે દરમિયાન પીંજરૂ નમી જતા મયુરકુમાર તથા તેની સાથેનો નિગમભાઈ સિંહ નામનો કામદાર બન્ને નીચે પડી ગયા હતા.આ ઘટનામાં મયુરકુમાર પટેલ ગંભીર રીતે જખ્મી થતાં તેનું સ્થળ ઉપરજ કરૂણ મોત થયું હતું.જ્યારે તેની સાથેના નિગમભાઈને પણ ઈજા થતાં તેને સારવાર માટે લઈ જવાયો હતો.ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ સપ્તાહ દરમ્યાન લાગલગાટ બે કંપનીઓમાં કુલ બે કામદારોના મોત થતાં આ જીવલેણ ઘટનાઓને લઇને તાલુકાની જનતામાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને લોકોમાં રોષ ફેલાયો હતો. જીઆઈડીસીમાં છાસવારે સર્જાતી જીવલેણ ઘટનાઓને લઈને જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હતી.




