દહેજ,
– આગની ઘટના સમયે ગોડાઉનમાં રહેલા ૫ અને ઉત્પાદન યુનિટમાં હતા ૩૫ કર્મચારીઓ
– ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ,પોલીસ અને GPCB એ તપાસ હાથ ધરી
– પાંચ દિવસ પહેલા જ શિવા ફાર્મા કેમમાં બ્લાસ્ટથી બે ના મોત બાદ દહેજમાં બીજી ઘટના
ભરૂચની દહેજ ઔધોગિક વસાહતમાં આવેલી યુનિવર્સલ કંપનીમાં ગુરૂવારે આગની ઘટનાથી અફરાતફરી મચી હતી.
ગુજરાતના ભરૂચ જિલ્લાની દહેજ ઔધોગિક વસાહતમાં ગુરૂવારે ચાર દિવસના ટૂંકા ગાળામાં જ યુનિવર્સલ નામની બીજી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો.
દહેજની યુનિવર્સલ કંપનીના પોટેશિયમ પરમેંગેનેટના ગોડાઉનમાં ગુરૂવારે સવારે ૯:૩૦ કલાકના અરસામાં એકાએક આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે ગોડાઉનમાં રહેલા ૪ થી ૫ કર્મચારીઓ અને પાછળના પ્રોડક્શન યુનિટમાં રહેલા ૩૦ થી ૩૫ કામદારો સમયસૂચકતા વાપરી બહાર નીકળી આવતા કોઈ જાનહાનિ નોંધાઇ નથી.કંપનીએ ઈનહાઉસ ફાયર સિસ્ટમ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે વિકરાળ ધુમાડા સાથે આગે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરતા ફાયર કોલ જાહેર કરાયો હતો.
પાંચ ફાયર ફાઈટરોએ દોડી આવી બે કલાકની જહેમતે આગ પર કાબુ મેળવી લીધો હતો.જે બાદ દોઢ કલાક સુધી કુલિંગ પિરિયડ હાથ ધરાયો હતો.ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના આસિસ્ટન્ટ ડાયરેકટર વિમલ હલવડીયા અને ટીમ,GPCB તેમજ દહેજ પોલીસે દોડી આવી તપાસ આરંભી હતી.
આવી ઘટનાઓએ ઔદ્યોગિક સલામતી માટે કડક અમલીકરણ અને દેખરેખની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.દહેજની ઔદ્યોગિક સુવિધાઓમાં કામ કરતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અનિવાર્ય છે.શું આ ઘટનાઓ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યે વધુ ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે?
