દહેજ,
દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ બે કામદારોના પરિવારજનોને ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ચેક આપી સહાય આપવામાં આવી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર શનિવારના રોજ દહેજ સેઝના ઝેડ ૮૮ અને ૮૮/૪ માં આવેલી શિવા ફાર્માકેમ લિમિટેડ માં ગતરોજ મોડી રાત્રી ૨:૩૦ થી ૩ કલાક દરમ્યાન AC 1 પ્લાન્ટમાં એસિડ ક્લોરાઈડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.આ દરમ્યાન રિએક્ટરમાં બ્લાસ્ટ થતા ગેસ રિલીઝ થતા સ્થળ પર કામ કરતા ૩ કામદારોને ગેસ લાગતા તાત્કાલિક જોલવા ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓની હાલત વધુ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બે કામદારો અર્જુનભાઈ પરબતભાઈ પટેલ રહે.મનાડ ગામ તેમજ પ્રવિણ મનસુખ પરમાર રહે.પાલડી ગામને મૃત જાહેર કર્યા હતા.તો અન્ય એક કામદાર શૈલેન્દ્રસિંહ યાદવ રહે.ત્રાંકલ ગામની હાલત ગંભીર હોવાથી તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
ત્યારે બંને મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી ૬૦ લાખ જેટલી સહાય આપવા નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં આજરોજ ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણા અને કંપનીના એચ આર સિધ્ધાર્થ રણા સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા.આ ચેક વિતરણમાં ધારાસભ્ય દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.