ભરૂચ,
ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર રોંગ સાઈડ આવતા વાહનો જીવલેણ સાબિત થઈ રહ્યા છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર થતાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.આ ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર બની રહ્યો હોઈ મોટાભાગના વાહનચાલકો મજબુરીથી રોંગ સાઈડે જતા હોવાનું દેખાય છે, જોકે કેટલાક અકસ્માતોમાં રોંગ સાઈડે જતા વાહનો કારણરૂપ બનતા હોવાનું પણ જોવા મળે છે.અઠવાડિયા અગાઉ ઝઘડિયા નજીક એક બસ અને ઇકો ગાડી વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા.જ્યારે ગતરોજ સાંજના રાજપારડી ઉમલ્લા વચ્ચે હરિપુરા ગામ નજીક એક ફોર વ્હિલ ગાડી પલ્ટી મારી જતા ફોર વ્હિલમાં બેઠેલ બે યુવકો અને ત્રણ યુવતીઓ પૈકી બે યુવતીઓ ગંભીર રીતે જખ્મી થતાં તેમના સ્થળ ઉપર જ મોત થયા હતા.ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભરૂચના વેજલપુર ખાતે રહેતો પિંતેશ કાન્તિભાઈ મિસ્ત્રી ઉ.વર્ષ ૨૧, તેની મંગેતર ફાલ્ગુની વસાવા ઉ.વર્ષ ૨૪ તેમજ પિંતેશનો મિત્ર જેમિશ બાબુભાઈ મિસ્ત્રી તથા જેમિશની પત્ની રીયાબેન મિસ્ત્રી અને જેમિશના નાનાભાઈની પત્ની વંચિતાબેન મિસ્ત્રી ઉ.વર્ષ ૨૨ તમામ રહે.ભરૂચના ફોર વ્હિલમાં રાજપીપલા તરફ જઈ રહ્યા હતા.ત્યારે તે દરમિયાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં રાજપારડી ઉમલ્લા વચ્ચે સંજાલી અને હરિપુરા ગામોના પાટિયાં વચ્ચે સામેથી રોંગ સાઈડે એક ફોર વ્હિલ ગાડી રાજપીપળા તરફથી આવતી જણાતા યુવક યુવતીઓને લઈને પુર ઝડપે જતી ફોર વ્હિલ કારના ચાલક જેમિશભાઈ મિસ્ત્રીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઈડર ઉપર ચઢીને સામી સાઇડે બે ત્રણ પલ્ટી મારી ગઈ હતી.કાર પલ્ટી મારી જતા તેમાં બેઠેલ લોકો પૈકી ફાલ્ગુનીબેન વસાવા અને વંચિતાબેન મિસ્ત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બન્નેના સ્થળ ઉપરજ કરુણ મોત થયા હતા.જ્યારે કારમાં સવાર અન્ય બે યુવકો અને એક યુવતી ઈજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.આ અકસ્માતની ઘટનામાં પણ સામેથી રોંગ સાઈડે આવતું વાહન નિમિત્ત બન્યું હોય એમ તાલુકામાં રોંગ સાઇડે જતા વાહનોના મુદ્દે ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો.અકસ્માતની આ ઘટના સંદર્ભે પિંતેશ કાન્તિભાઇ મિસ્ત્રીની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
– અકસ્માતનો ભોગ બનનાર કારચાલક જ અકસ્માત માટે આરોપી બન્યો
ભરૂચના યુવાનો તેમના પરિવારજનો સાથે ગુમાનદેવ બાવાગોર બાદ રાજપીપળા હરસિધ્ધિ માતા એ દર્શને જવા નીકળ્યા હતા.ત્યારે રાજપારડી ઉમલ્લા વચ્ચે થી પસાર થતા હતા ત્યારે રાજપીપળા તરફથી રોંગ સાઈડ આવતી કાર ને જોઈ અકસ્માતનો ભોગ બનેલ કાર ચાલક જેમિસ મિસ્ત્રી એ સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી બે ત્રણ પલટી મરાવી હતી જે અકસ્માત બદલ કારના ચાલક જેમિસ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે જેના કારણે કાર ચાલકે સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવ્યો એવા રોંગ સાઈડ રાજપીપળા તરફથી આવતા કાર ચાલક નો કોઈ વાંક ગુનો બહાર આવ્યો નથી,ખરેખર આવા રોંગ સાઈડ આવતા કાર ચાલકો સામે પણ ફક્ત દંડનીય કાર્યવાહી નહીં પરંતુ અકસ્માત સમયે આવા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે પણ ગુનો નોંધાવો જોઈએ તે ચર્ચાનો વિષય બન્યો છે.
