અંકલેશ્વર, ભરૂચ
અંકલેશ્વર, તા. 05 જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના હેતુથી 500થી વધુ લીમડાના છોડનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નાગરિકોને માત્ર વૃક્ષ વાવવા નહીં પરંતુ તેનું યોગ્ય જતન અને ઉછેર કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકો પાસેથી “વૃક્ષ વાવીશું અને તેનું સંરક્ષણ કરીશું” તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકર્તા જુનેદભાઈ પાચભાયા, સામાજિક કાર્યકર્તા જેનીશભાઈ મોદી તથા પૂર્વ નગર સભ્ય સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
નગરજનોએ આ પહેલને ઉત્સાહભેર આવકારી હતી અને મોટી સંખ્યામાં લોકો વૃક્ષોના છોડ મેળવી પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં જોડાયા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
