વાલિયા, ભરૂચ
વાલિયા તાલુકાની ગરીબ જનતા માટે આશીર્વાદરૂપ સામુહિક આરોગ્ય કેન્દ્ર બીમારીમાં સપડાતા જિલ્લા પંચાયત સભ્યએ 10 દિવસમાં તેનું સિફટિંગ નહીં કરવામાં આવે તો તાળા બંધીની ચીમકી ઉચ્ચારી છે.
વાલિયા તાલુકામાં એક સામુહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે આવેલ છે. જ્યારે તેના નેજા હેઠળ ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિર પણ આવેલ છે. જેમાં સૌથી દયનિય હાલત વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રની છે. ડોક્ટર અને સ્ટાફ સહિત સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા છે. ત્યારે અગાઉ જર્જરિત હોસ્પિટલનો યુથ પાવર સામાજિક સંગઠન દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, જે વીડિયો વાયરલ થતા થોડા દિવસ માટે હોસ્પિટલ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું હતું. જે બાદ ફરી એજ જર્જરિત ઇમારતમાં હોસ્પિટલ શિફ્ટ કરી આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં આવતી હોવાની જાણ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા, વિજય વસાવા, ધર્મેશ વસાવા, વિજય જીવણજી વસાવા સહિત આગેવાનોએ વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી જ્યાં ડોક્ટર ચેમ્બર, સારવાર રૂમ, લેબ અને દર્દીઓનો વોર્ડ તેમજ ડિલિવરી વોર્ડ સહિત ઓપરેશન થિયેટરનો રૂમ ખૂબ જ જર્જરિત હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સાથે સાધનો પણ ધૂળ ખાતા નજરે પડ્યા હતા જેને લઈ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે અને જો 10મી જૂન સુધીમાં પગલાં નહીં લેવામાં આવે તો જીલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી.
આમ આદમીના કાર્યકર વિનય વસાવાએ જણાવ્યું કે જેતે સમયે અમે વિઝિટ કરી હતી તે સમયે અન્ય સ્થળે હોસ્પિટલ ખસેડવાની બાંહેધરી આપી હતી પરંતુ આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું છે. આવતી 10મી જૂન સુધી પગલાં નહીં લેવાય તો તાળાબંધી કરવાની ફરજ પડશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
