ભરૂચ
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીનું 12 વર્ષ પહેલાં નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી. બિલ્ડર હિતેશ સુતરિયા જે સોસાયટીના પ્રમુખ પણ છે તેઓએ આજદિન સુધી આપેલા વાયદા પુરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેઇન્ટેનન્સ થતું નથી. સોસાયટીમાં ફાયર સેફટી અને CCTV કોઈ સુવિધા નહિ હોવાનો મકાન ધારકો આક્રોશ ઠાલવી રહ્યાં છે.
સાથે જ મેઇન્ટનન્સના રૂપિયા તેઓએ પોતાના અંગત ખાતામાં નાખી છેતરપિંડી આચરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે બિલ્ડર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે અને જો રહીશોની માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચરવામાં આવી છે.




