આમોદ, ભરૂચ
ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી, પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે.કોર્ટએ આ કેસમાં સામેલ તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન – FIR રદ કરવાની માંગ ફગાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.
કોર્ટએ જણાવ્યું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે, કારણ કે પ્રાથમિક પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતા પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્ત્વો સામેલ હોઈ શકે છે. હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબદુલ આદમ પટેલ ફેફડાવાલા હાજી અંગે ગંભીર અવલોકન આપ્યું છે. કોર્ટએ નોંધ્યું કે આ વ્યક્તિ FIR નોંધાયા પહેલા વિદેશથી 25 વખત ભારત આવ્યો હતો, પરંતુ FIR બાદ એક વાર પણ ભારત આવ્યો નથી. કોર્ટએ તેના વર્તનને “શંકાસ્પદ” ગણાવ્યું છે.
નવેમ્બર 2021માં આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 કુટુંબો — 100થી વધુ લોકોએ ધર્માંતરણ કર્યુ હતું. તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરણ પૂર્વનિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું હતું.
