ઝઘડિયા, ભરૂચ
– આગની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની નહિ – ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આજે સવારે એક મકાનમાં આગે દેખા દેતા થોડીવારમાંજ મકાનનો સરસામાન આગની લપેટમાં આવી ગયો હતો અને ઘરની ઘરવખરી સહિતનો સામાન આગમાં સ્વાહા થઈ જતા મકાન માલિક અરવિંદભાઈ માછીને મોટું આર્થિક નુકશાન થયું હતું. આગની જાણ થતા તાત્કાલિક અગ્નિશામક બંબા બોલાવાયા હતા. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ મકાનનો સરસામાન આગની લપેટમાં આવી જતા મકાન માલિકે મોટું આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, આગ શોર્ટ સર્કિટથી લાગી કે કોઈ અન્ય કારણોસર તે બાબતે કોઈ આધારભુત માહિતી હજુ મળી નથી. આગની આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની નહિ થતા તંત્રએ રાહત અનુભવી હતી. આગ આજુબાજુમાં પ્રસરે તે પહેલા અગ્નિશામક બંબાઓમાંથી પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાતા ઘટના સ્થળની આજુબાજુનો વિસ્તાર આગની લપેટમાં આવી જતા બચી ગયો હતો.
