ભરૂચ,
ભરૂચ શહેરના વાહનચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. ચોમાસું વિદાય લેતા જ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગોનું પુનઃનિર્માણ અને રીપેરીંગ કાર્ય હાથ ધરાશે. નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે આ અંગે જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે શહેરના મોટા ભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરવાનો લક્ષયાંક રાખવામાં આવ્યો છે. ખાસ કરીને કસક સર્કલથી કસક ગરનાળુ અને ધોળીકુઈને જોડતો માર્ગ, પાંચબત્તીથી ઢાલ તથા શક્તિનાથ સર્કલ, તેમજ શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ ઓવરબ્રિજ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરાશે.ચોમાસા દરમ્યાન ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડી ગયા હતા અને ધૂળિયા માર્ગોના કારણે વાહનચાલકોને મુસાફરીમાં ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો. દિવાળી પૂર્વે માર્ગો સુધરી જવાથી વાહનવ્યવહાર સુચારુ બનશે અને તહેવારોની ખરીદી માટે નીકળતા લોકો માટે રાહતરૂપ સાબિત થશે.





