ઝઘડિયા, ભરૂચ
– કંપનીના પ્રોસેસ પ્લાન્ટમાં ઓઈલ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું
ઝઘડિયા જીઆઈડીસીમાં મુખ્યત્વે કેમિકલ ઉત્પાદિત કરતી કંપનીઓ કાર્યરત છે,આ કંપનીઓમાં ઘણી વખત વધુ પડતા તાપમાનના કારણે, સેફટીના અભાવ જેવા કારણોસર અકસ્માત થતા હોય છે ત્યારે ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૬૭૬ માં આવેલ નવદીપ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગી હતી. કંપનીના પ્લાન્ટના પહેલા માળ પર આગ લાગતા કંપનીમાં ભાગદોડ મચી જવા પામી હતી.આગ લાગવાના પગલે કંપનીના તમામ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે કંપની બહાર કાઢવામાં આવ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસીના ચાર અગ્નિસામક દળો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ભારે જહમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. નવદીપ કેમિકલ્સ કંપનીમાં આગ લાગવાનું પ્રાથમિક તારણ એવું બહાર આવ્યું હતું કે કંપનીના પ્રોસેસ પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ઓઈલ લીકેજ થવાના કારણે આગ લાગવા પામી હતી. જેના કારણે કંપનીને લાખો રૂપિયાનો નુકસાન થયા હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.આગ લાગવાની ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેમિકલ કંપની હોવા છતાં ફાયર ના પૂરતા સાધનો ઉપલબ્ધ્ધ રાખવામાં નિષ્કાળજીના કારણે પણ ઘણી વાર નાની આગ મોટું સ્વરૂપ લેતું હોય છે અને નુકશાની સાથે નિર્દોષ કર્મચારીઓના જીવ પણ લેતું હોય છે ત્યારે ભરૂચ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, નોટીફાઈડ એરિયા તેમજ જીઆઈડીસી અને ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન આ બાબતે કેમ કાળજી નથી રાખી રહ્યા છે બેજવાબદાર સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.





