ભરૂચ,
માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચના તવરા ગામમાં આવેલ પાંચ દૈવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાઓનુ સ્થાપન કરાયું હતું જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ અને જવ સહિતના કઠોરોથી માતાજીના જવારાનું સ્થાપના કરાઈ હતી. આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દૈવિ મંદિર જેમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડીયાર માતાજી, મેલડી માતાજી અને મોંગલ માતાજી આમ પાંચ માતાજીની એક સાથે સ્થાપન કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી. ભાવિક ભક્તો આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રોત વિધિથી જવારાનું સ્થાપન કર્યું હતું. દસ દિવસ સુધી માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દશેરાના દિવસે માતાજીના જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે. નવરાત્રિના નવ દિવસ દરમ્યાન પાંચ દૈવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા માઈભક્તો ઉમટી પડતા હોય છે.
