ભરૂચ,
– ભોલાવ વિસ્તારમાં સફાઈ અને કેક કટીંગ કરાયું
– આંબેડકર ભવનમાં પાલિકાના પીએમ સ્વનિધિ યોજનાના ચેક અપાયા
– જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વર્ક ઓર્ડર અપાયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ભરૂચ શહેર અને જીલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં કેક કટીંગ, સફાઈ અભિયાન, પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેના ભાગરૂપે ભરૂચના ભોલાવ વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજાયો હતો. દૂધધારા ડેરી નજીક યોજાયેલ સફાઈ અભિયાનમાં ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભૂતપૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ, ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્થાનિક રહીશો અને કાર્યકરોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ૭૫ મો જન્મદિવસ કેક કાપી ઉજવાયો હતો.
બીજી તરફ ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભારત સરકાર અને પેયજળ-સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છોત્સવ” કાર્યક્રમ તેમજ લોક કલ્યાણ મેળાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરાયું હતું.આ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત રાખવામાં આવ્યો હતો.લોક કલ્યાણ મેળામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી (સુરત) એસ.ડી. વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ડીઆરડીએ ડાયરેક્ટર નૈતિકા પટેલ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા ભાજપના આગેવાન પરેશ લાડ સહિતના અનેક અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભરૂચ નગરપાલિકા હસ્તક ચાલતી પીએમ સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવતી લોનના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તો સાથે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી યોજનાના લાભાર્થીઓને પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.





