બોડેલી, છોટાઉદેપુર
– નાની કેનાલના પાળા માંથી લિકેજના કારણે સ્થિતિ સર્જાયાની રજૂઆત
– શિયાળામાં પણ પાક ના લઈ શકતા હોવાના ખેડૂતોના આક્ષેપ : મોટું ગાબડું પડવાની સંભાવનાઃ યોગ્ય કાર્યવાહી કરી નુકશાની આપવાની સિંચાઈ વિભાગથી અપેક્ષા
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ખમાપુરા સીમમાંથી પસાર થતી નાની નહેરમાં છિદ્રોમાંથી નીકળેલા પાણી ૫૦ વીઘા ખેતરમાં કેળા ના પાકમાં ભરાઈ ગયા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલના છિદ્રો પૂરવા સાથે સમારકામનું હાથ ધરાતું નથી. ત્યારે કેળાનો નો પાક ખરાબ થઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ખમાપુરા ગામની સીમ નજીકથી નાની નહેર પસાર થાય છે. નહેરની બંને બાજુ પાળા આવેલા છે. નહેરમાંથી પાણી લીકેજ થતાં ખેતરોમાં ભરાઈ જવા પામ્યા છે. આ બાબતે ખમાપુરાના ખેડૂતોએ સિંચાઈ વિભાગને નહેરની બંને બાજુના પાળામાં છિદ્રો પડી ગયા હોવાનું જણાવી રજૂઆતમાં જણાવ્યું છે કે, છિદ્રોમાંથી ખમાપુરા સીમમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે ૫૦ વીઘા ઉપરાંત ખેતરોમાં કેળાનો પાક નાશ થઇ ગયો છે. એટલું જ નહીં વારંવાર થતી સમસ્યાના કારણે પાણીના કારણે ખેડૂતો શિયાળામાં પણ પાક લઈ શકતા ના હોવાનો આક્ષેપ કર્યો છે. સમયસર નહેરનું મેન્ટેનન્સ થતું ના હોય વારંવાર નહેરના પાળાઓમાં છિદ્રો પડી જવાના કારણે નહેરના પાણી આજુબાજુના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોના ખેતી પાકનું ભારે નુકસાન થઈ રહ્યું છે. છિદ્રોનું સમારકામ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે નહેરમાં મોટા ગાબડા પડવાની સંભાવના રહેલી છે. આ બાબતે સિંચાઈ ખાતાના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન અપાતું ના હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિક ખેડૂત સુભાષ ભાઈ તડવી સાથે વાત કરતા તેઓએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ખેડૂત લોકો આખુ વર્ષ મહેનત કરી પાકને પોતાના છોકરાની જેમ ઉછેર કરતા હોય છે, પાક ઉછેર કરવા અમારે દવાની સાથે સાથે અન્ય ખર્ચ પણ થતો હોય છે. આખુ વર્ષ મહેનત કરીને જે કઈ પાક થાય એનાથી અમે માંડ અમારા ઘરનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ તંત્ર ની બેદરકારી ના કારણે અમારે પારાવાર નુકશાન વેઠવું પડતું હોય છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે સરકાર અમારા નુકશાનની ભરપાઈ કરે જેથી અમે અમારા પરિવારનું આ મુશ્કેલ સમયમાં ગુજરાન કરી શકીયે ane જો તંત્ર તરફથી યોગ્ય વળતળ આપવામાં નહિં આવે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.





