ભરૂચ,
ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુટુંબિક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાનલાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા.આ લોક અદાલતમાં ઈ-ચલણના 14,700 થી વધારે કેસોનો નિકાલ કરવામાં આવનાર છે.લોક અદાલતનો શુભારંભ આર. કે. દેસાઈ (ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ), ઈ. એન. શેખ (અધિક જિલ્લા ન્યાયાધીશ) અને પી. પી. મોકાશી (સેક્રેટરી, DLSA) ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.આ અવસરે ભરૂચ જિલ્લાના વકીલો, વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા ટાળીને ઝડપી નિકાલ લાવવાનો છે, જેથી પક્ષકારોને અવારનવાર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે અને સુખદ નિરાકરણ ઉપલબ્ધ થાય.





