હાંસોટ, ભરૂચ
હાંસોટ તાલુકાના ખરચ ગામ ખાતે બિન ખેતીની જમીનમાં પ્લોટો પાડી વેચાણ કર્યા બાદ જમીન માલિકે બોગસ દસ્તાવેજના આધારે તે જમીન ખેતીની જમીન તરીકે વેચાણ કરી દઈ જમીન પચાવી પાડવા મામલે ફરિયાદના આધારે હાંસોટ પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
હાંસોટ તાલુકાના આમલી ફળિયા ખાતે રહેતા હિતેશભાઈ નાથુભાઈ પટેલ ખેતી કામ કરે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ખરચ ગામની જુનો બ્લોક નં. 374 તથા નવો બ્લોક નં. 203 વાળી 0-52-42 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી બિન ખેતીની જમીનમાં રહેણાક હેતુ માટે આવેલ અયોધ્યા નગરી સોસાયટી વિભાગ 1માં પ્લોટો પૈકી પ્લોટ નં. 49ના સ્વતંત્ર માલિક હંસાબેન થયા હતા. આ પ્લોટ અમે વર્ષ 2025 ફેબ્રુઆરી મહિનામાં હવે જ ચૂકવી કબજેદાર બન્યા હતા. દરમ્યાન જુનો બ્લોક નં. 374 તથા નવો બ્લોક નં. 203 વાળી જમીનના માલિક ગણપતસિંહ ઠાકોરએ વર્ષ 2008માં ભવાનભાઈ મકવાણા અને મગનભાઈ સીસારાને વેચાણ કરી હતી. પાવર ઓફ એટર્ની તથા નગર નિયોજક ભરૂચના હુકમના આધારે અનિલ દુબેએ જમીનમાં 55 પ્લોટ પાડી તમામ પ્લોટ અલગ અલગ વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ હકીકત આરોપીઓ જાણતા હોવા છતાં પ્લોટોના વેચાણ બાદ રી-દસ્તાવેજ કરી પરત વેચાણ લઈ ગણપતસિંહ ઠાકોરે ખોટા દસ્તાવેજ બનાવી રઉફ , સાજેદા અને રિયાઝને ખેતીની જમીન તરીકે વેચાણ કરી હતી. પ્લોટ હોલ્ડરો પાસેથી નાણાં લઈ પ્લોટો વેચી જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




