આમોદ, ભરૂચ
– પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી
આમોદ નગર સહિત પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસેલા અઢી ઈંચ વરસાદથી આમોદ નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી આમોદ પાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. આમોદ નગરના જલારામ નગરમાં વરસાદી પાણી ભાઈ જતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત આમોદ તાલુકાના પુરસા કાંકરિયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા પુરસા – કાંકરિયા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. તેમજ કાંકરિયા ગામ પાસે આવેલી આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ પાણી ભરાવાને કારણે વિપરીત અસર પડી હતી. આમોદના જલારામ નગરમાં પાણી ભરી જતા ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ મામલતદાર મયુર વરીયા સહિત પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોએ સ્થળ મુલાકાત કરી હતી. ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જલારામ નગરના રહિશોની ફરિયાદી સાંભળી તંત્રને વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી. ત્રણ દિવસથી વરસેલા વરસાદથી આમોદના જલારામ નગરમાં વરસાદી પાણી ભરાવાથી આમોદ અને ભીમપુરા ગામના લોકો વચ્ચે વરસાદી પાણીના નિકાલ બાબતે તણાવ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભીમપુરા ગામના લોકોએ ગત વર્ષે મેટલ નાંખી વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ કરી દેતાં આ વર્ષે પણ બે ગામના લોકો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો જેથી આમોદ મામલતદાર મયુર વરીયાએ ગત રોજ મામલતદાર કચેરી ખાતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી તેમજ ભીમપુરા ગામના સ્થાનિક તલાટી સાથે ચર્ચા કરી હતી અને આજ રોજ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિનો તાગ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી જ પ્રિમોન્સુનની કામગીરી કરતા કપરી પરિસ્થિતી સર્જાઈ હતી.
