ભરૂચ,
ભરૂચ શહેર વિભાગીય પોલીસ દ્વારા આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારો આવી રહ્યા છે તેને અનુલક્ષીને શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ હતી જેમાં ત્રણેય પોલીસ મથકના અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શહેર વિભાગીય પોલીસ દ્વારા જિલ્લા પોલીસવાડાની કચેરી નજીક આવેલા તાલીમ કેન્દ્ર ખાતે ભરૂચ શહેરના ડીવાયએસપી સી.કે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ભાજપના જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સનાતન હિંદુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થ અને મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી સહિતના ગણેશ આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમ્યાન બંને સમાજના પ્રતિનિધિઓએ સંકલ્પ લીધો કે તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પારસ્પરિક સૌહાર્દ સાથે ઉજવવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા તહેવારો દરમ્યાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તહેવારો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સ્થળોએ ભીડ નિયંત્રણ, તેમજ મંડળો દ્વારા કાર્યક્રમો દરમ્યાન સૂચનાઓનું પાલન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.





