ભરૂચ,
– ખુશ રહો, મસ્ત રહો તેમજ સ્ટોપ સ્યુસાઈડના સૂત્રો સાથેના સાઈન બોર્ડ લાગ્યા
– દોઢ કરોડના ખર્ચે સેફ્ટી ગ્રિલ મંજૂર છતાં માત્ર સેમ્પલ લગાડી સંતોષ માણતું માર્ગ મકાન વિભાગ
ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતના વધતા બનાવો રોકવા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાઈ તેવા ઉદ્દેશ્ય સાથે ખુશ રહો, મસ્ત રહો અને સ્ટોપ સ્યુસાઈડ લખેલા સાઈન બોર્ડ લગાવી આત્મહત્યાના બનાવો રોકવાના પ્રયાસો હાથ ધરાયા છે.
ભરૂચની મધ્ય માંથી પસાર થતી નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યા બાદ તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ આ બ્રિજ જાણે આત્મહત્યા માટે એપી સેન્ટર બન્યો હોય તેમ રોજબરોજ લોકો બ્રિજ પરથી આત્મહત્યા કરતા સ્યુસાઈડ પોઈન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં કુપ્રસિધ્ધ થયો હતો જેના કારણે સામાજિક યુવા આગેવાનો દ્વારા સેફ્ટી ગ્રિલ લગાડવા માટે એક વર્ષ ઉપરાંતથી લડત ચલાવી હતી અને કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કર્યા બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ વહીવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા વહેલા વહેલી તકે સેફ્ટી ગ્રિલ લાગે અને આત્મહત્યાના બનાવ અટકે તેની ગંભીરતા લઈ ૧.૫૫ કરોડના ખર્ચે બ્રિજને મંજૂરી મળ્યા બાદ પ્રારંભિક તબક્કા હેઠળ સેમ્પલિંગ માટે સેફ્ટી ગ્રિલ લગાડવામાં આવી હતી જે બાદ પણ નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા હતા જેને લઈને ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા બ્રિજ પર ખુશ રહો, મસ્ત રહો તેમજ સ્ટોપ સ્યુસાઈડના સૂત્રો સાથે થોડા થોડા અંતરે સાઈન બોર્ડ લગાડવામાં આવ્યા છે. વિકટ પરિસ્થિતિમાં હતાશા અને નિરાશાથી દૂર રહી આ જે માનવ જીવન મળ્યું છે તેને આનંદ અને મસ્તીથી જીવી લઈએ અને અન્યને મદદરૂપ બની આ અમૂલ્ય જીવનને સાર્થક કરીએ તેઓ સંદેશ આપવાનો સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભરૂચ માર્ગ મકાન દ્વારા બ્રિજ પરથી આત્મહત્યા રોકવા માટે દોઢ કરોડના ખર્ચે સેફ્ટી ગ્રિલ લગાડવા માટે સેમ્પલ લગાડવામાં આવ્યું છે તેમ છતાં હજુ સુધી કોઈ સુધારો વધારો નહીં આવતા હજુ પણ આત્મહત્યાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે માર્ગ મકાન વિભાગ વહેલી તકે સેફ્ટી ગ્રિલ લગાડે તે જરૂરી છે.




