ભરૂચ,
ભરૂચ શહેરના તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે આજે સ્થાનિક રહેવાસીઓ ઉગ્ર સ્વરે સામે ઊભા રહ્યા હતા. વીજ કંપનીના કર્મચારીઓ સવારે મીટર લગાવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા, ત્યારે રહેવાસીઓએ તેમની સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી અટકાવીને પાછા વળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વીજ કંપનીએ કોઈપણ પૂર્વ જાણકારી આપ્યા વિના સીધા જ નવા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે. મીટરના ખર્ચ, બિલિંગ સિસ્ટમ, તેમજ તેની કાર્યપ્રણાલી અંગે તેમને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી જેના કારણે લોકોમાં અસંતોષ અને આશંકા ફેલાઈ છે.
રહેવાસીઓનું કહેવું છે કે, તેઓ લાંબા સમયથી જૂના મીટર દ્વારા જ વીજળીના બિલ ચૂકવતા આવ્યા છે. નવા મીટર લગાવવાથી બિલિંગ વધારે આવવાની શક્યતા છે અને સાથે સાથે મીટર ખામી પામે તો જવાબદારી કોણ લેશે તે અંગે પણ કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. “અમારા પર જબરદસ્તી નવા મીટર લાદવામાં આવી રહ્યા છે. પહેલેથી સમજાવટ અને ચર્ચા થવી જોઈએ હતી,” એવો આરોપ રહેવાસીઓએ લગાવ્યો હતો. રહેવાસીઓએ જૂના મીટર ચાલુ રાખવાની માંગણી કરી છે અને આ અંગે ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની જાહેરાત પણ કરી છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે, જો તેમની માગણીઓને ગંભીરતાથી ન લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ તીવ્ર વિરોધ કરવામાં આવશે. સ્થાનિક સ્તરે આ મુદ્દે ચકચાર મચી છે અને સ્માર્ટ મીટર મુદ્દે સરકાર તથા વીજ કંપની સામે રહેવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.





