ભરૂચ,
ભરૂચ જિલ્લાના નંદેલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટના રોજ બનેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી. મૂળ રાજસ્થાનના અને હાલ આશીર્વાદ સોસાયટીના બી-13 નંબરે રહેતા તથા કેટરર્સનો ધંધો કરતા પ્રકાશ માલી (ઉંમર અંદાજે 40 વર્ષ) ની અજાણ્યા ઇસમો દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પ્રકાશ માલી પરિવાર સાથે અહીં રહેતા હતા અને કેટરર્સના ધંધાથી ઘર ચલાવતા હતા. 17 ઓગસ્ટની સાંજના સમયે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ આજે 6 દિવસ વીતી ગયા છતાં આરોપીઓ હજુ સુધી પકડાયા નથી.
આજે મૃતકના પરિવારજનો તથા સગાં-સંબંધીઓ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા અને તેમણે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી. પરિવારજનોની માંગણી છે કે વહેલી તકે આરોપીઓને પકડીને કાયદાની કડક સજા કરવામાં આવે જેથી મૃતકને ન્યાય મળી રહે.હાલ પોલીસ દ્વારા હત્યા પાછળ કારણ શું હતું તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ વ્યાવસાયિક રંજિશ અથવા કોઈ વ્યક્તિગત શત્રુતા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં સી.સી.ટી.વી. ફૂટેજ અને કોલ ડિટેઈલ્સના આધારે તપાસ આગળ ધપી રહી છે.





